બગદાણા ધામમાં પડી મોટી ખોટ! બગદાણા ધામના પૂજ્ય શ્રી મનજીદાદા ગુરુ ચરણ પામ્યા, ભક્તો બન્યા શોકાતુર….
વસંત પંચમીના રોજ, એક દુ:ખદ સમાચાર સામેં આવતા ગુજરાતમાં અને બગદાણા ધામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી બજરંગદાસ બાપાના અનન્ય સેવક અને ગુરુ આશ્રમ, બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, પરમ પૂજ્ય શ્રી મનજીદાદા આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ પરમશકિત પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામ્યા છે.
આ સમાચારથી આપણા સૌ કોઈ શોકમગ્ન થઈ ગયા છે. શ્રી મનજીદાદા ગુરુ આશ્રમના સેવાકાર્યમાં સંપૂર્ણપણે સમર્પિત હતા. તેમના નેતૃત્વ હેઠળ, આશ્રમ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી શક્યો. તેમના દયાળુ સ્વભાવ અને સેવાભાવનાથી તેઓ દરેકના પ્રિય હતા.
પૂજ્ય મનજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે આજે ૧૪ના સાંજે ૪થી તા. ૧૫ના બપોરે ૩ સુધી રાખેલ છે તેમજ અંતિમ યાત્રા તારીખ ૧૫ના રોજ બપોરે ૩ કલાકે નીકળશે. મનજી દાદાએ પોતાનું જીવન બગદાણા ધામને સમર્પિત કરીને વસંત પંચમીના પાવન દિવસે ગુરુચરણને પામ્યા છે, તેમની વિદાય અણધારી છે પરંતુ તેમણે પોતાના જીવનકાળમાં પૂજ્ય બજરંગદાસ બાપુનો અઢળક રાજીપો જરૂરથી મેળવ્યો હશે.
મનજી દાદાના જીવન અને કાર્યો ઘણા લોકો માટે પ્રેરણા રહેશે. તેમના દેહાવસાનથી બગદાણા ધામમાં તેમનાની ખોટ કોઈ પણ ભરી શકશે નહીં.આપણે સૌ પ્રાર્થના કરીએ કે પરમશકિત પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર અને સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
તેમના દ્વારા કરવામાં આવેલા સત્કાર્ય થકી તેઓ સદાય આપણાં સૌના હદયમાં જીવંત રહેશે. સૌને સીતા રામ!